Government Medical College, Surat
The Government Medical College Surat is committed to provide and continuously improve upon medical education to individual and society.
નવી સિવિલને નવું અદ્યતન એમ.આર.આઈ. મશીન ફાળવવામાં આવશે: ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
-------
નવી સિવિલ સાથે ગૃહમંત્રી કે પ્રજાના પ્રતિનિધિનો નહી, પણ એક પરિવારજન તરીકેનો મારો નાતો: ગૃહરાજ્યમંત્રી
---------
ગુજરાત સ્થાપના દિનની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવતા ગૃહરાજ્યમંત્રી
------
સુરત,રવિવાર: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે બે ડિજીટલ એક્ષરે મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે નવી સિવિલની મુલાકાત દરમિયાન ગૃહરાજ્યમંત્રીશ્રીએ સિવિલમાં દર્દીઓની સુવિધા માટે નવું અદ્યતન એમ.આર.આઈ. મશીન ફાળવવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ મશીનોમાં માત્ર પાંચ જ મિનીટમાં ડિજીટલ એક્ષરે મળી રહે છે. જે ઓ.પી.ડી. સાથે સીધું કનેક્ટેડ રહેતું હોવાથી એક્ષ રે ફિલ્મના સ્થાને ડિજીટલ એક્ષરેને તબીબ ઓ.પી.ડી.માં સીધા જ જોઈ શકે છે.
નોંધનીય છે કે, મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે એમ.આર.આઈ. મશીન જરૂરી હોવાથી સિવિલ તંત્રની ટીમે મંત્રીશ્રીને આજે રજૂઆત કરી હતી, જે સંદર્ભે ગૃહરાજ્યમંત્રીશ્રીએ તાત્કલિક જ આ પ્રપોઝલ મોકલી આપવા જણાવ્યું હતું. જેથી એમ.આર.આઈ. મશીનની ઝડપભેર ફાળવણી પ્રક્રિયા કરી શકાય. વર્ષ ૨૦૧૯માં પણ મંત્રીશ્રીએ નવી સિવિલને તેમની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી સિટીસ્કેન મશીન અને બે એક્ષરે મશીનની ફાળવણી કરી હતી.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિનની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવતા આ પ્રસંગે જણાવ્યું હતું કે, નવી સિવિલ સાથે ગૃહમંત્રી કે પ્રજાના પ્રતિનિધિનો નહી, પણ એક પરિવારજન તરીકેનો મારો નાતો છે. સુરત સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સૈનિકની જેમ ખડેપગે સેવા આપી છે. ઓક્સિજન સપ્લાય તેમજ એક સાથે ૧૬૦૦ થી વધારે કોવિડ પેશન્ટને સંભાળવા, તેમના તમામ કાળજી સાથે સ્વસ્થ કરવા દિવસરાત એક કરનારા સિવિલના કોરોનાયોદ્ધાઓના યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. મક્કમતાપૂર્વક કોઈ કાર્ય કરવાનો નિર્ધાર કરવામાં આવે તો તે જરૂર પૂર્ણ થાય તેનું ઉત્તમ ઉદાહરણ કિડની બિલ્ડીંગ અને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ છે, જે ખૂબ ઓછા સમયમાં શરૂ કરી હજારો કોવિડ દર્દીઓને સ્વસ્થ કરવામાં સફળતા મળી હતી એમ તેમણે ઉમેર્યું હતું.
કોરોનાકાળમાં નવી સિવિલ કેમ્પસમાં કિડની બિલ્ડીંગ અને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરાવવામાં પોતાના પ્રયાસોમાં શ્રી ઈકબાલ કડીવાલા, શ્રી દિનેશ અગ્રવાલ અને રાજુ નાયકે મહત્વની ભૂમિકા ભજવી હતી એમ જણાવી તેઓનું મંત્રીશ્રીએ અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજના ડીન ડૉ.ઋતંભરા મહેતા, ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ ગણેશ ગોવેકર, નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.લીલાબેન ગામી, નર્સિંગ કૉલેજના પ્રિન્સીપાલ ડૉ.ઈન્દ્રાવતી રાવ, આર. એમ.ઓ.ડો. કેતન નાયક, છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઇ શાહ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, TNAI સેક્રેટરી કિરણ દોમડિયા, TNAI લોકલ પ્રેસિડેન્ટ અશ્વિન પંડ્યા અને નવી સિવિલના નર્સિંગ અને તબીબી સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ
રૂ.૭૦ કરોડના ખર્ચે સાકારિત થયેલી સરકારી મેડિકલ કોલેજના અદ્યતન ભવનનું લોકાર્પણ કર્યું
----------
દેશની આરોગ્ય સેવાઓને પોષણક્ષમ અને સર્વસુલભ બનાવવા માટે કેન્દ્ર સરકાર સંકલ્પબધ્ધઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા
------
રાજયના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજોનું નિર્માણ થાય તે દિશામાં રાજય સરકાર મક્કમતાપૂર્વક આગળ વધી રહી છેઃ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ
-----------
સુરતઃ રવિવારઃ- દેશ અને રાજ્યમાં વધતી જતી તબીબોની માંગને પહોંચી વળવાના પ્રયાસોના ભાગરૂપે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે રૂ.૭૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલી અદ્યતન સરકારી મેડીકલ કોલેજનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશની આરોગ્ય સેવાઓને પોષણક્ષમ અને સર્વસુલભ બનાવવા માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં નવી મેડિકલ કોલેજોનું નિર્માણ તથા એમ.બી.બી.એસ.ની સીટોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અદ્યતન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકારે મેડિકલ કોલેજોની સ્થાપના માટેના નિયમોનું સરળીકરણ કર્યું છે. કેન્દ્ર સરકાર ઝડપભેર આરોગ્યક્ષેત્રે કાર્ય કરી રહી હોવાની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ૨૦૧૪ના વર્ષમાં ૩૨૭ મેડિકલ કોલેજોની સંખ્યા હતી જેને વધારીને આજે ૫૯૬ કરવામાં આવી છે. તેવી રીતે MBBSની ૫૨,૦૦૦ની સીટોમાં વધારો કરી ૯૨,૦૦૦ કરવામાં આવી છે જે આ વર્ષે વધીને એક લાખ સુધી પહોચી જશે. આ ઉપરાંત PGની ૩૧,૦૦૦ સીટોમાં વધારો કરીને ૬૪,૦૦૦ કરવામાં આવી છે. મેડિકલ કોલેજની એક સીટ ઉપલબ્ધ કરવા માટે સરકાર ૧.૨૦ કરોડનો ખર્ચ કરી રહી છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં સરકાર મક્કમતાપુર્વક આગળ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં પાંચ જિલ્લામાં પાંચ મેડિકલ કોલેજોને મંજુરી આપવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.
મંત્રીશ્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના છેવાડાના ગરીબ અને વંચિત લોકોને સારી અને ગુણવત્તાયુકત સ્વાસ્થ્ય સેવાઓ સુલભ બને તે માટે એક એમ.બી.બી.એસ. ડોકટર તૈયાર કરવા ત્રણથી ચાર કરોડનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે ડોકટરો પણ સમાજ પ્રત્યેનું સેવાદાયિત્વ નિભાવે તે જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક અને સામૂહિક કેન્દ્રો ખાતે ડોકટરોને આરોગ્યસેવા કરવા માટેની હિમાયત તેમણે કરી હતી. તેમણે દેશના ડોક્ટરો અને મેડિકલ શિક્ષકોને નવી દવા અને રસીના સંશોધન તરફ ધ્યાન કેન્દ્રીત કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે રાજયના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્યની સગવડ જનજન સુધી પહોંચી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે. જેથી દરેક જિલ્લામાં એક મેડીકલ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. સુરત શહેર આગામી સમયમાં મેડિકલ હબ બને તે પ્રકારનું કાર્ય રાજય સરકાર સંકલ્પબધ્ધ છે. સંવેદનશીલ રાજ્ય સરકાર સિનીયર સિટીઝન્સને ઘર આંગણે દવા અને વિવિધ હેલ્થ ટેસ્ટ કરાવી શકે તે માટેનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવનાર છે.
આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રીશ્રીમતી નિમિષાબેન સુથાર, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસમંત્રીશ્રી વિનુભાઈ મોરડીયા, સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય સર્વશ્રી ધારાસભ્યશ્રી વિવેક પટેલ, શ્રીમતી સંગીતાબેન પાટીલ, વી.ડી.ઝાલાવડીયા, દ.ગુ.યુનિ.વાઈસ ચાન્સેલરશ્રી કે.એન.ચાવડા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, મેડિકલ કોલેજના ડીન ડો.ઋતંભરા મહેતા, મેડીકલ કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
સરકારી મેડિકલ કોલેજના નવા ભવનની ઝલક:
નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે કેન્દ્ર સરકારની કુલ રૂ.૧૨૦ કરોડની ગ્રાન્ટ સાથે ન્યુ મેડિકલ કોલેજ બિલ્ડીંગનું નિર્માણ બે તબક્કામાં કરવામાં આવનાર છે. જે પૈકી પ્રથમ તબક્કામાં રૂ.૭૦.૧૮ કરોડના ખર્ચે કુલ ૩૩,૯૬૩ ચોરસ મીટરમાં નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા બિલ્ડીંગમાં કુલ ૫ માળ, પાર્કિંગની સુવિધા માટે ગ્રાઉન્ડ ફ્લોર, વહીવટી બ્લોક, ૭૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા ૩ પરીક્ષા હોલ સહિત ૩૦૦ વિદ્યાર્થીઓને સમાવી શકે તેવા ૪ લેક્ચર હોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બિલ્ડીંગમાં ઉત્તમ કક્ષાની ફાયર સલામતી, સ્ટાન્ડર્ડ લિફ્ટ, શ્રેષ્ઠ વેન્ટિલેશન સહિતની સુવિધાઓથી સજ્જ છે.
-૦૦-
*એક જ માસમાં ૧.૬૦ લાખથી વધુ કોરોનાના RTPCR ટેસ્ટ કરતો સુરત નવી સિવિલનો માઈક્રોબાયોલોજી વિભાગ*
--------
*દૈનિક ૭૦૦૦થી વધુ સેમ્પલની ચકાસણી કરતાં ૧૦૬ જેટલા તબીબો અને ટેકનિશ્યનો*
------
*ત્રીજી લહેરમાં પણ દૈનિક ૧૨ થી ૧૫ કલાકની કામગીરી*
----------
સુરતઃબુધવારઃ કોરોનાની ત્રીજી લહેરમાં સુરતની નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના ૧૦૬ જેટલા તબીબો અને ટેકનિશ્યનો ૭૦૦૦થી વધુ સેમ્પલની ચકાસણી કરે છે. ફક્ત જાન્યુઆરી-૨૨ ના માસ દરમિયાન આ ટીમ દ્વારા ૧.૬૦ લાખથી વધુ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ સમયગાળા દરમિયાન આ એક-એક કર્મીઓ દ્વારા સતત દૈનિક ૧૨ થી ૧૫ કલાક જેટલી કામગીરી કરવામાં આવી હતી. કોરોનામુક્ત દર્દીઓને વહેલી તબીબી સારવાર ઉપલબ્ધ થાય સાથે ઝડપથી સ્વસ્થ થાય તે માટે આ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ૨૪x૭ કામગીરી કરી રહ્યાં છે. તેઓની કામગીરી ત્રણ શિફ્ટમાં વિભાજીત હોવા છતાં પણ તેમણે ઓવરટાઈમ કરીને ૨૪ કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કરી સમાજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી છે.
આ લેબમાં ફરજ પરના તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટર, સર્વન્ટ સહિતના ૧૦૬ કર્મયોગીઓ RT-PCR ટેસ્ટીંગ માટે જીવના જોખમે કાર્ય કરી રહ્યાં છે, અને દૈનિક ૭૦૦૦થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરે છે. દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે. જેથી માઈક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઈન્ટેઈન્સની જવાબદારી પણ વધી ગઈ છે, પણ આ લેબનો દરેક આરોગ્યકર્મી પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યાં છે.
માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.સુમેયા મુલ્લાં જણાવે છે કે, લેબ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં જે રીતે કામગીરી કરી હતી, તેનાથી વિશેષ કામગીરી ત્રીજી લહેરમાં નિભાવી રહ્યાં છે. ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોવિડ ટેસ્ટીંગનું ભારણ વધતા સ્ટાફની સાથે પોતે પણ શિફ્ટવાઈઝ ૩૨ થી ૩૩ કલાક ફરજ અદા કરી છે. સમયસર કોવિડ-૧૯નો રિપોર્ટ આપવા માટે રાજ્ય સરકાર તરફથી એક નવી લેબની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેનાથી ટેસ્ટીંગ કામગીરીમાં ઘણી રાહત થઇ છે. ડિપાર્ટમેન્ટમાં ૪૯ ટેકનિકલ સ્ટાફ, ૧૦ સર્વન્ટ, ૧૮ ડોકટર, ૨૯ ડેટા ઓપરેટર મળી કુલ ૧૦૬ સ્ટાફગણ ફરજ બજાવી રહ્યાં છે. જેમાંથી ૧૨ જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા, અને તમામ સ્વસ્થ થઈને ફરી પાછા ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે...........
*મુશ્કેલીનો સામનો કરી પોતાની ફરજ પર હાજર રહેલા કોરોના યોદ્ધાઃ*
---------
*કોરોની બીજી લહેરમાં પિતાને ગુમાવ્યા છતાં સતત ફરજ પર હાજર રહી સેવા આપતા ડો.ડિમ્પલ જેઠવા ચૌહાણ*..........
લાલદરવાજા સિટી સેન્ટર સોસાયટીમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.ડિમ્પલ જેઠવા ચૌહાણે જણાવ્યું હતું કે, કોવિડની શરૂઆતથી જ માઈક્રોબાયોલોજી લેબમાં ટેસ્ટીંગ અને રિપોર્ટીંગમાં ફરજ બજાવી રહી છું. કોરોની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત પિતાની છત્રછાયા ગુમાવી હતી, જેથી કોરોનાથી થોડો ડર જરૂર લાગતો હતો, પરંતુ ફરજની વાત આવી ત્યારે કોરોનાનો મક્કમ સામનો કરવાં તૈયાર થઈ ગઈ હતી. મારા ૭ વર્ષના દિકરા શિવ અને ૧૩ વર્ષની દિકરી ખનક બંને ભાઈબહેનને પણ કોરોના થતા હિંમત હારી ગઈ હતી. પણ તેઓની સારસંભાળ, કાળજી લેવાની સાથે કોવિડમાં પોતાની ફરજ બજાવવા માટે તત્પર રહી છું. ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોરોના ટેસ્ટીંગમાં વધારો થતા રાત-દિવસ કામગીરી કરી છે, જેમાં પરિવારના તમામ સભ્યોએ સાથ સહકાર આપ્યો છે. જેથી પરિવારની પણ આભારી છું...........
*પોતાને બે વાર અને ચાર અને છ વર્ષના દિકરાને કોરોના સંક્રમણ થયું હોવા છતાં પોતાની ફરજ પર અડગ રહ્યા ડો.પુર્વી મોદી*
------
ન્યુ સિટીલાઈટ નેવિલ પાર્ક સોસાયટીમાં રહેતા અને માઈક્રોબાયોલોજી વિભાગમાં ટ્યુટર તથા ફેકલ્ટી તરીકે સેવા આપતા ડો.પુર્વી મોદીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવી રહી છું. કોરોના કાળમાં ટ્યુટરની ફરજ સોંપવામાં આવી ત્યારે કોરોનાનો ભય સતાવતો હતો, પરંતુ સમય જતા નક્કી કર્યું કે કોરોના સાથે રહીને જ નોકરી કરવાની છે, મક્કમ મનોબળ રાખતાં ડર ગાયબ થઇ ગયો હતો. હું પહેલી અને ત્રીજી લહેરમાં કોરોનાગ્રસ્ત બની હતી. પરંતુ સ્વસ્થ થઈને પુન: ફરજ પર હાજર થઈ હતી. તાજેતરમાં મારા બન્ને દિકરા દેવ અને કવિશને કોરોના થતાં ફરજ અને દિકરાની સારસંભાળ રાખવાનું મારા માટે મુશ્કેલ બની ગયું હતું. પરંતુ ડ્યુટી નિભાવવાની પણ મારી નૈતિક ફરજ હતી, જેથી નોકરી પુર્ણ કરી હું બાળકોની સારસંભાળ લેતી હતી. એક સમય એવો પણ આવ્યો કે મારો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. છતાં સૌ સભ્યો અને કોરોનાને હરાવવામાં સફળતા મળી હતી. ..........
*સતત ત્રણ શિફ્ટમાં ફરજ પર હાજર રહી સેવા આપતા ડો.યોગિતાબેન મિસ્ત્રીઃ*
-----
કતારગામની સ્મૃતિ સોસાયટીમાં રહેતા તથા સિવિલ હોસ્પિટલમાં ૪ વર્ષથી ફરજ બજાવતા ડો.યોગિતાબેન મિસ્ત્રીએ જણાવ્યું કે, કોરોનાની શરૂઆતથી જ માઈક્રોબાયોજી ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરી રહી છું. મારા ઘરની આજુબાજુના લોકોને પરેશાની ન થાય એના માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પરિવાર સાથે રહી ફરજ નિભાવી રહી છું. કોરોના પછી સિવિલ કેમ્પસમાં રહયા બાદ એકવાર પણ ઘરે પરત ગયા નથી. ત્રીજી લહેરમાં જાન્યુઆરી મહિનામાં કોરોના ટેસ્ટીંગ વધતા ત્રણ શિફ્ટમાં ૩૨ કલાક પણ ફરજ નિભાવી છે. ત્રીજી લહેરમાં ૭૦૦૦થી વધુ ટેસ્ટ કરવામાં આવતા હતા. હજુ પણ સ્ટાફના સહયોગથી કોવિડ ટેસ્ટીંગની જવાબદારી ઉત્સાહથી નિભાવી રહ્યાં છીએ.
-૦૦૦-
નવી સિવિલ હોસ્પિટલ ખાતે ન્યુવા આઈ-૯ કંપનીના વિશ્વના સૌથી આધુનિક આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ 4-D ટેકનોલોજીયુકત મશીનનું લોકાર્પણ કરતા સાંસદ સી. આર. પાટીલ
-----
સુરત:ગુરુવારઃ- માતાના ગર્ભમાં રહેલા શિશુના નિદાન અને સારવારમાં ઉપયોગી એવા ન્યુવા આઈ-૯ કંપનીના વિશ્વના સૌથી આધુનિક આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ 4-D ટેકનોલોજીયુકત મશીનનું લોકાર્પણ સાંસદ સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂા.૬૦ લાખની કિંમતનું આ મશીન ગર્ભસ્થ શિશુના નિદાન સારવારમાં આશીર્વાદરૂપ બનશે.
સિવિલ હોસ્પિટલના ફિટલ મેડિસીન વિભાગ ૨૦૧૮થી કાર્યરત છે. આ વિભાગના કાર્યથી માતા અને બાળકના મૃત્યૃદરમાં ઘટાડો થયો છે. સમયસર નિદાન અને સારવારથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ મોટી રાહત થઈ છે. આ ઉપરાંત વિવિધ પ્રક્રિયાઓમાં ગર્ભમાં બ્લડ ટ્રાન્સફયુઝન, ખોડ ખાંપણની સારવાર, સિકલસેલ, જીનેટીક કાઉન્સેલિંગ તેમજ બાળક ખોડખાંપણ વાળુ ન જન્મે તે માટે જનજાગૃતિ અને કાઉન્સેલીંગની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે રેડિયોલોજી વિભાગના ડો.પૂર્વીબેન દેસાઈ, ગાયનેકોલોજીસ્ટ વિભાગના ડો.રાગીણીબેન વર્મા, ડો. બિનોદી ચૌહાણ, સિન્ડિકેટ સભ્ય શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, ડો. અંજનિ શ્રીવાસ્તવ, ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા તથા ગાયનેક અને રેડિયોલોજીના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રવ્યાપી ઓકિસજન પ્લાન્ટોનુ કર્યુ ઈ-લોકાર્પણ
------
નવી સિવિલ હોસ્પિટલ ખાતે નિર્મિત PSA ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે શહેરી વિકાસમંત્રી વિનોદભાઈ મોરડિયા તથા સાંસદ સી. આર. પાટીલ રહ્યા ઉપસ્થિત
------------
નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.૧.૬૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલો ઓકિસજન પ્લાન્ટ ૩.૭૪ મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા ધરાવે છેઃ
-------
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા રાજ્ય સરકાર કટિબદ્ધઃ મંત્રી વિનોદભાઈ મોરડીયા
-------
સુરત:ગુરૂવાર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યવ્યાપી ૧૮ જેટલા PSA ઓકિસજન પ્લાન્ટોનુ ઈ-લોકાર્પણ કર્યુ હતું. જે પૈકી સુરત નવી સિવીલ હોસ્પિટલ ખાતે પીએમ કેરમાંથી નિર્મિત થયેલા PSA ઓકિસજન પ્લાન્ટના ઈ-લોકાર્પણ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા તથા સાંસદશ્રી સી.આર.પાટીલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.૧.૬૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલો ઓકિસજન પ્લાન્ટ ૩.૭૪ મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
આ પ્રસંગે મંત્રી શ્રીવિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે,’ દેશના અને રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય માટે ફંડિંગ અને યોગ્ય બજેટ દ્વારા તેમને સુરક્ષિત કરવાનો સફળ પ્રયાસ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ઓકિસજન સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં ૨૬૧ પ્લાન્ટો સ્થાપવામાં આવ્યા છે. જે ૨૦૪ મેટ્રિક ટન ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે તેમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘પીએસએ પ્લાન્ટ થકી ભારતે આત્મનિર્ભર ભારતની દિશામાં એક નવો આયામ હાંસલ કર્યો છે. કોરોના મહામારી દરમિયાન ભારતમાં દર્દીઓને સ્વસ્થ કરીને આરોગ્ય વિભાગે દૈનિક ઐતિહાસિક નવા રેકોર્ડ બનાવવામાં મેડિકલ સ્ટાફ, ડોકટરો અને નર્સોએ મહત્વનું યોગદાન આપ્યું છે. ‘સેવા પરમો ધર્મ’ મંત્રને સાચા અર્થમાં તેમણે સાર્થક કર્યો છે.’ કોરોનાની ભારતમાં બનેલી સ્વદેશી વેકસીન વધુમાં વધુ નાગરિકોને આપીને રક્ષિત કરવામાં આવી રહ્યા છે, જેમાં સમગ્ર દેશમાં ગુજરાત અને વિશેષતઃ સુરત રસીકરણમાં મોખરે રહ્યું છે, જે ગૌરવપુર્ણ હોવાનું તેમણે કહ્યું હતું.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રીબેન પરમારે જણાવ્યું હતું કે, પીએમ કેર્સ અંતર્ગત ફાળવવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટના માધ્યમથી પ્રતિ મિનિટ ૨૦૦૦ લિટર ઓકિસજન ઉત્પન્ન થશે. સિવિલ હોસ્પિટલમાં એસ્સાર,એલ.એન્ડ.ટી અને PSA પ્લાન્ટ એમ કુલ ૩ પ્લાન્ટના માધ્યમથી ઓક્સિજન ઉત્પન્ન થશે. જે ત્રીજી લહેરનો સામનો કરવામાં મદદરૂપ નીવડશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સર્વોત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વિવિધ વિભાગોના ડોકટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા અને ડો.પારૂલ વડગામાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલ, પૂર્વ આરોગ્યમંત્રી કિશોરકુમાર કાનાણી, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, મહેન્દ્રભાઇ પટેલ, સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના ડોકટરો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
--૦૦--
કોરોના સામેના જંગમાં સિવિલ કેમ્પસને 'ઈન્ફેક્શન ફ્રી' રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરતાં ઈન્ફેકશન કંટ્રોલના નોડલ ઓફિસર ડો. ગીતા વાઘેલા
--------
નવી સિવિલના હેલ્થ અને હાઈજીનની જવાબદારી:
ઈન્ફેક્શન કંટ્રોલ ટીમને કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું
----------
પ્રથમ લહેરમાં કોરોનાગ્રસ્ત બન્યાં,
પરંતુ સ્વસ્થ થઈ પુન: ફરજ પર જોડાઈને કર્મને પ્રાધાન્ય આપ્યું
----------
સુરત:બુધવાર: નવી સિવિલ હોસ્પિટલના કોવિડ, નોન કોવિડ દર્દીઓ, તબીબી અને પેરામેડિકલ સ્ટાફ, હોસ્પિટલમાં આવતાં દર્દીઓના પરિજનોની કાળજી રાખવા રાઉન્ડ ધ ક્લોક ફરજ નિભાવતી ઈન્ફેક્શન કંટ્રોલ ટીમને ૫૮ વર્ષીય ઈન્ફેકશન કંટ્રોલના નોડલ ઓફિસર ડો. ગીતા વાઘેલા કુશળ નેતૃત્વ પૂરું પાડી રહ્યાં છે. તેઓ ફરજ દરમિયાન પ્રથમ લહેરમાં કોરોનાગ્રસ્ત બન્યાં, પરંતુ સ્વસ્થ થઈ પુન: ફરજ પર જોડાઈને કર્મને પ્રાધાન્ય આપ્યું અને આજ સુધી ઈન્ફેક્શન કંટ્રોલની જવાબદારીને બખૂબી ન્યાય આપી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલ સાથે સંલગ્ન તમામ કર્મયોગીઓના હેલ્થ અને હાઈજીનની જવાબદારી સંભાળતા ડો. ગીતા વાઘેલા મૂળ મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામના વતની છે, અને વર્ષ ૧૯૯૨ થી સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કોરોનાની પ્રથમ લહેરથી જ નવી સિવિલમાં ઈન્ફેકશન કંટ્રોલના નોડલ ઓફિસર તરીકે ફરજ નિભાવી રહ્યાં છે. આ ઉપરાંત માઈક્રોબાયોલોજી વિભાગના VRDL - વાઈરલ રિસર્ચ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીના સહાયક પ્રિન્સીપલ ઈન્વેસ્ટિગેટર તરીકે જવાબદારી વહન કરી રહ્યાં છે.
ડો.ગીતાબેન જણાવે છે કે, નવી સિવિલના કોવિડ વોર્ડમાં દર્દી અને તબીબી સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ સાધનો નિયત કેમિકલથી સેનેટાઈઝ થાય તેમજ દરેક કર્મચારી હોસ્પિટલમાં ફરજ દરમિયાન યોગ્ય રીતે પીપીઈ કીટ પહેરી છે કે કેમ તે અંગે તેમને જાગૃત્ત કરવાની કામગીરી ઉપરાંત સેનેટરી ઈન્સ્પેક્ટરોને સાથે રાખીને સ્વચ્છતા, દર્દીઓની કાળજી, બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે તેનું સતત મોનિટરિંગ અને માર્ગદર્શન અંગેની ફરજ નિભાવી રહી છું.
માત્ર કોવિડ નહીં, પરંતુ નોનકોવિડ દર્દીઓની સારસંભાળ, વોર્ડની યોગ્ય સાફસફાઈ થાય તેમજ દરેક વોર્ડમાં નિયમિત રીતે બેડશીટ બદલવામાં આવે તે અંગે અમારી ઈન્ફેકશન કંટ્રોલ ટીમ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે. આ કામગીરીની દૈનિક સમીક્ષા રોજ સવારે ૯.૦૦ વાગ્યે મળતી કોર કમિટીની મિટિંગમાં કરવામાં આવતી હતી. ફરજ દરમિયાન પ્રથમ લહેરમાં નવેમ્બર મહિનામાં કોરોનાગ્રસ્ત બની હતી, ૧૪ દિવસ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી સ્વસ્થ થઈ હતી એમ તેઓ જણાવે છે.
ડો.ગીતાબેન કહે છે કે, કોવિડ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા તમામ મેડિકલ ઇક્વિપમેન્ટને વાઈરસ,બેક્ટેરિયા મુક્ત રાખવા અને અન્યને ઈન્ફેક્શન ન લાગે તે માટે ૦.૫ ના સ્પ્રેથી હાઈપર ક્લોરાઈડ સોલ્યુશનથી સેનેટાઈઝ કરવામાં આવે છે. કિડની, સ્ટેમસેલ, જૂની બિલ્ડીંગની કોવિડ હોસ્પિટલના તમામ ફલોર તેમજ સંસાધનોને ખાસ પ્રકારે સેનેટાઈઝેશન થાય એની કાળજી લીધી છે. કામગીરી યોગ્ય રીતે થાય એ માટે વિવિધ સ્થળોએ ઈન્ફેક્શન ટીમ સાથે દરરોજ રાઉન્ડ લઉં છું. આ કામગીરીની સફળતામાં ઈન્ફેક્શન કંટ્રોલ ટીમના તમામ સભ્યોનો સહકાર અને યોગદાન રહ્યાં છે.
પતિ ડો.મુકેશભાઈ અને દીકરી પલાશી સાથે નાનકડાં પરિવાર સાથે રહેતા ડો.ગીતાબેને કોરોના સામેના જંગમાં સિવિલ કેમ્પસને ઈન્ફેક્શન ફ્રી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.
*કોરોના સામેના 'સાયલન્ટ વોરિયર': સુરત સિવિલ હોસ્પિટલનો PSM વિભાગ*
------------
*નેપથ્યમાં રહી કોરોના ક્રાઈસિસને કંટ્રોલમાં લાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી*
--------
*સુરત શહેર, જિલ્લા સહિત નવસારી જિલ્લાની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા આગવી વ્યૂહરચના ઘડી હતી*
----------
*સંભવિત ત્રીજી લહેરનું પણ આગોતરૂ આયોજનઃ*
*સુરતની વસ્તીના આધારે બનાવ્યું પ્રોજેક્શન મોડેલ*
-----------
*૫૦ કર્મયોગીઓએ આરોગ્ય તંત્ર સાથે પડછાયાની જેમ રહીને સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું*
-----------
(ખાસ અહેવાલ:
મહેન્દ્ર વેકરિયા, પરેશ ટાપણીયા)
-----------
સુરત:રવિવાર: સમગ્ર દેશ સહિત સુરત શહેરે કોરોનાની પહેલી તથા બીજી લહેરનો મક્કમતાથી સામનો કર્યો છે. અનેક ડોક્ટરો, ઉચ્ચ અધિકારીઓથી લઈને આરોગ્ય વિભાગના યોદ્ધાઓના દિન-રાતના સહિયારા પ્રયાસોના કારણે કોરોનાને નિયંત્રિત કરવામાં સફળતા મળી છે. કોરોનાની કૂચને અટકાવવાંમાં એવા ઘણાં 'સાયલન્ટ વોરિયર્સ' નિમિત્ત બન્યાં, જેમની નેપથ્યમાં-પડદા પાછળની કામગીરીથી કોરોનાનો કહેર કાબુમાં આવ્યો છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે નવી સિવિલ હોસ્પિટલનો પી.એસ.એમ.(પ્રિવેન્ટીવ એન્ડ સોશ્યલ મેડિસિન) વિભાગ.
PSM વિભાગે કોરોનાની પહેલી અને બીજી લહેર સમયે સચોટ ડેટા એનાલિસીસના આધારે આગોતરા પગલાઓ દ્વારા ઈન્ફેકશનને નિયંત્રણમાં લાવવા અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે આગવી વ્યૂહરચના અપનાવીને સુરત શહેર, જિલ્લા અને નવસારી જિલ્લાને સંક્રમણમાંથી બહાર લાવવા તેમજ સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં યોગદાન આપ્યું છે, ક્રાઈસીસ મેનેજમેન્ટ માટે સૂચનો, તેમજ સ્થાનિક પરિસ્થિતિનું આકલન કરીને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, સિવિલ અને સ્મીમેર આરોગ્યતંત્ર સાથે રિઅલટાઈમ ડેટા એનાલિસિસને આધારે સચોટ ફિડબેક આપ્યો હતો. જેનાથી તંત્રને નિર્ણયો લેવામાં મદદ મળતી હતી. જુદી-જુદી ટાસ્કફોર્સ ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ, હોમ ક્વોરન્ટાઈન અને આઈસોલેશન, માઈક્રો કન્ટેઈન્મેન્ટ, ફિલ્ડ સર્વેલન્સ, વેક્સિનેશન, ઓક્સિજન ઓડિટ, વિવિધ પ્રકારની માર્ગદર્શિકાઓ (SoP), ડેથ ઓડિટ, ટ્રેનિંગ, રિસર્ચ, હેલ્થ કેર સહિતની કામગીરીમાં આરોગ્ય તંત્રને વાસ્તવિક અને સચોટ ફિડબેક આપીને ચાવીરૂપ કામગીરી બજાવી હતી.
ફરજ દરમિયાન વિભાગીય વડા ડૉ.જયેશ કોસંબિયા તથા તેમના પત્ની કોવિડ પોઝિટીવ થયા હતા. ડૉ.હર્ષદ પટેલ(એસો.પ્રોફેસર), ડૉ.ઈરફાન મોમીન(એસો.પ્રોફેસર, ડૉ.અંજલિ મોદી(આસિ.પ્રોફેસર), ડૉ.જયંત પટેલ (ટ્યુટર) અને ૮ રેસિડેન્ટ ડોક્ટર્સ પોઝિટીવ થયા હતા. ફેકલ્ટી મેમ્બર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સના ૨૦ જેટલા કુટુંબીજનો પણ કોરોનાગ્રસ્ત બન્યાં હતા. જેમાં એક કુટુંબીજનનું અવસાન પણ થયું. આમ છતા સ્વસ્થ થઈને ફરજ પર પાછા ફરી વિપરીત સંજોગોમાં પણ આ વોરિયરોએ રાતદિન કર્મયોગ શરૂ રાખ્યો.
PSM વિભાગના વડા અને પ્રોફેસર ડો.જયેશ કોસંબિયાએ જણાવ્યું કે, કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે કોરોનાના આંકડાઓનું પૃથ્થકરણ, સ્થળ નિરીક્ષણ અને સ્થિતિનું મોનિટરીંગ કરીને આગામી સમયમાં વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણની ભાવિ પરિસ્થિતિનો ઊંડાણથી અભ્યાસ કરી બેડ, વેન્ટીલેટરની જરૂરિયાત, કોરોનાની ગતિ, નિવારણના પગલાં વગેરેનું જુદા-જુદા તારણો સાથે મનપાની પ્રતિદિન મળતી કોર કમિટીની મિટિંગમાં પ્રેઝન્ટેશન કરવામાં આવતું હતું. જેના આધારે ઉચ્ચઅધિકારીઓ શહેરમાં કોરોના નિયંત્રણના અટકાયતી પગલાઓનું આયોજન કરતાં હતાં. સુરત અને નવસારી જિલ્લા માટે અટકાયતી પગલાં લેવાની જવાબદારી નિભાવીને તંત્ર સાથે પડછાયાની જેમ સંકલનમાં રહી કામ કર્યું છે. વિભાગમાં ૧૯ ફેકલ્ટી, બે સિનીયર રેસિ., ૨૦ રેસિડેન્ટ ડોક્ટર અને સપોર્ટીવ સ્ટાફ સહિત ૫૦ કર્મચારીઓએ કોરોનાકાળ દરમિયાન દિનરાત ફરજ બજાવી છે. નવી સિવિલની ટાસ્કફોર્સ ટીમની રોજ સવાર-સાંજ બેઠક મળતી, જેમાં હોસ્પિટલના ઓપીડી-આઈપીડી, ડિસ્ચાર્જ, ડેથ અને બેડ ઉપલબ્ધતા, ઓક્સિજન ઓડિટનું પ્રેઝન્ટેશન કરવામાં આવતું હતું, જેથી જરૂરિયાત પ્રમાણે યોગ્ય વ્યવસ્થા કરી શકાય. “Ask A MASK Campaign” નો કોન્સેપ્ટ અને સ્ટોરીલાઈન બનાવી હતી, જેમાં જે વ્યક્તિએ માસ્ક ના પહેર્યું હોય, યોગ્ય રીતે માસ્ક ના પહેર્યું હોય તેને માસ્ક પહેરવા માટે કોઈ વ્યક્તિ ટોકી શકે છે. સુરત મહાનગરપાલિકાએ આ વિષે જુદા-જુદા પાંચ વિડીયો બનાવીને આમ જનતા માટે ખૂબ પ્રભાવી કેમ્પેઈન ઉભું કર્યું હતું.
*ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા કોર કમિટી અને ટાસ્કફોર્સ કમિટી દ્વારા એક્શન પ્લાનનું આગોતરૂ આયોજન ઉપયોગી નીવડ્યું*
બીજી લહેરની વાત કરતા ડો.કોસંબીયા કહે છે કે, ફેબ્રુઆરી,૨૦૨૧ દરમિયાન એક એક્શન પ્લાન બનાવીને બેડની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આગામી અઠવાડિયામાં બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર, દવાની જરૂરિયાતનું તારણ આપવામાં આવ્યું હતું, તે જ રીતે ઉચ્ચ અધિકારીની બનેલી કોર કમિટીમાં તંત્રની સુસજ્જતા અને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે તેને પહોંચી વળવા ટાસ્કફોર્સ અને એક્શન પોઈન્ટનું પણ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. જે બીજી લહેરમાં ઉપયોગી નીવડ્યું.
*સંભવિત ત્રીજી લહેરનું પણ આગોતરૂ આયોજનઃ બાળકોમાં સંક્રમણને અટકાવવાંનો પ્લાન*
આગામી સંભવિત ત્રીજી લહેર વિશેના આગોતરા આયોજન અંગેનો અંદાજ આપતા તેઓ કહે છે કે, સુરત શહેરમાં સંભવિત ત્રીજો વેવ આવે તો અંદાજિત ૨૦,૦૦૦ બાળકોને ચેપ લાગવાની સંભાવના છે. ૨૦૦૦ બાળકોને હોસ્પિટલમાં એડમિશન તેમજ ૨૦૦ બાળકોને ICU બેડની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જેથી શહેરની ૭૦ લાખ વસ્તીને ધ્યાનમાં રાખીને ૧૫ વર્ષથી નાના, ૫ વર્ષથી નાના અને એક વર્ષથી નાના બાળકોની ૨૦૧૧ના સેન્સસના આંકડા પ્રમાણે એક પ્રોજેક્શન મોડેલ બનાવવામાં આવ્યું છે. અને આ રીતે બાળકોમાં સંક્રમણને અટકાવવાંનો પ્લાન છે.
*ટ્રાવેલર્સ સ્ક્રીનિંગ અને નિયંત્રણના પગલા માટે સ્ટ્રેટેજી*
હાલ સુરતમાં કોવિડ કેસો ઘટી રહ્યા છે. પોઝિટિવિટીનો દર ઓછો જણાય છે તેવા સંજોગોમાં શહેરમાં કોવિડનો ચેપ(સોર્સ) હાજર હોવાથી અટકાયતના પગલાં લઈ શકાય, પરંતુ સુરત શહેરમાં ટ્રાવેલર્સનું યોગ્ય પ્રમાણમાં ટેસ્ટીંગ થાય તો બહારથી આવતા લોકોમાંથી ઇન્ફેક્શન રોકી શકાય. બહારથી આવતા લોકો એસિમ્પ્ટોમેટિક પોઝિટિવ હોય તો તેમના દ્વારા અહીં શહેરમાં ફેલાવો થઈ શકે છે, જેથી ટ્રાવેલર્સ સ્ક્રીનિંગ અને નિયંત્રણના પગલાં માટે સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે.
*બીજી લહેરમાં સુરતના ૧૯૧ હેલ્થકેર વર્કર્સ કોરોનાગ્રસ્ત થયા*
અત્યાર સુધી બીજી લહેરમાં સુરતના ૧૯૧ હેલ્થકેર વર્કર્સ કોવિડ પોઝિટીવ થયા છે, અને તેઓ હોમ કે હોટેલ આઈસોલેશનમાં રહી સ્વસ્થ થઈ ગયા છે. ૧૯૧માંથી ૧૨૦ લોકોએ (૬૩ટકા)રસી લીધી છે. રસીના કારણે હેલ્થકેર વર્કરને કોઈ ગંભીર અસર જણાઈ ન હતી, અને કોરોનાગ્રસ્ત થયાં હોય તો પણ ઓક્સિજનની જરૂરિયાત પડી ન હતી અને તમામ સાજા થઈ ગયા છે એમ ડો.કોસંબીયા જણાવે છે.
*વેક્સિનેશનની કામગીરીને વેગ મળ્યો*
વેક્સિનેશનની કામગીરીને વેગવંતી કરવા ફેબ્રુઆરી માસમાં PSM વિભાગના માર્ગદર્શન હેઠળ સુરત સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતે વેક્સિનેશન સેન્ટરની કામગીરી શરૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલના કુલ ૪,૩૩૭ હેલ્થકેર વર્કરોએ પ્રથમ ડોઝ અને ૨૭૪૯ એ રસીનો બીજો ડોઝ લીધો છે. તેમજ નવી સિવિલ ખાતે કુલ ૧૦,૭૭૨ લોકોએ પ્રથમ અને ૪,૮૧૯ લોકોએ બીજો ડોઝ લીધો છે.
*સ્થાનિક જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારની માર્ગદર્શિકા (એસ.ઓ.પી.) બનાવી*
તેઓ વધુમાં કહે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત માર્ગદર્શિકા બહાર પડતી હતી, જેને PSM વિભાગે સ્થાનિક જરૂરિયાત અનુસાર ફેરફાર કરીને ડાયમંડ, ટેક્ષટાઈલ, હોટેલ-રેસ્ટોરન્ટ માટે એસ.ઓ.પી.બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. બાગબગીચા, પુસ્તકાલયો, શાળા, કોચિંગક્લાસ, જીમ-યોગ સેન્ટર જેવા વધુ અવરજવરવાળા જાહેરસ્થળોને ફરીથી ખોલવાની એસ.ઓ.પી. પણ તૈયાર અને પ્રસારિત કરવામાં આવી હતી.
*'રેપિડ રિસ્પોન્સ ટીમ' દ્વારા રોજેરોજ મનપાને ફિડબેક અપાતો*
સુરત મહાનગરપાલિકાએ અમારા વિભાગના ફેકલ્ટીને 'રેપિડ રિસ્પોન્સ ટીમ'માં સામેલ કરી શહેરના ચાર ઝોન:- સેન્ટ્રલ, અઠવા, ઉધના અને લિંબાયત ફાળવ્યા હતા. જેમાં દરરોજ એક-એક ટીમ ચાર ઝોનની મુલાકાત લઈને ક્લસ્ટરીંગ ઓફ કેસિસ, હોમ આઈસોલેશન, કન્ટેઈન્મેન્ટ એરિયા, ધન્વંતરિ રથ તથા સંજીવની રથની મુલાકાત લઈને રોજેરોજ મનપાને ફિડબેક અપાતો હતો, જેનાથી નવા કેસના સ્ત્રોત, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવતી. જરૂર જણાય ત્યાં જે-તે સ્થળે સંક્રમણના ઓછાવત્તા પ્રમાણને ધ્યાને રાખી વ્યૂહરચના ઘડી કામગીરીમાં સુધારા કરવામાં આવતાં. આ જ રીતે સુરત જિલ્લા અને નવસારી જિલ્લામાં આવી કામગીરી અન્ય બે ટીમ દ્વારા કરી હોવાની તેઓ જણાવે છે.
*સંક્રમણની રોકથામ માટે ૧૧૪૫ આરોગ્યકર્મીઓને તાલીમબદ્ધ કર્યા*
કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઈસોલેશન અને ક્વોરન્ટાઈનને લગતા મુદ્દાઓ પર પ્રાથમિક આરોગ્ય કર્મચારીઓ, એએનએમ, આશા, લેબ ટેકનિશિયન, પ્રાથમિક શાળાના શિક્ષકો, સેનેટરી નિરીક્ષકો અને કરારના કર્મચારીઓ સહિત ૯૮૦ આરોગ્યકર્મીઓને અલગ-અલગ બેચમાં તાલીમ આપી હતી. તેમજ ૪ દિવસના સમયગાળામાં ૧૧૪૫ આરોગ્યકર્મીઓને અમારા ફેકલ્ટી દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ, માઈક્રોકન્ટેઈન્મેન્ટ, એઆરઆઈ સર્વેલન્સ અને સ્વસુરક્ષા માટે પુન: તાલીમ આપવામાં આવી હતી. સવારે ફિલ્ડવર્ક અને વિઝીટ માટે રવાના થતી ટીમને ૧૦ મિનિટ માટે ઝોન લેવલે બ્રિફિંગ આપવામાં આવતું હોવાનું પણ ડો.કોસંબીયા જણાવે છે.
*મ્યુકરમાયકોસિસના પડકાર સામે સજ્જતા કેળવી*
અમદાવાદ અને રાજકોટમાં મ્યુકરમાયકોસિસ(બ્લેક ફંગસ)ની બિમારી વધતાં મનપા ખાતે આંખ તેમજ કાન, નાક, ગળા વિભાગના ડોક્ટર્સ સાથે IMAની મીટિંગ રાખવામા આવી, જેમાં મ્યુકર માટે સિચ્યુએશનલ એનાલિસિસ કરાયું હતું, અને નવી સિવિલમાં દાખલ દર્દીઓને મ્યુકર થવાના કારણોની માહિતી એકઠી કરવી, તેના લક્ષણો અને સારવારની માહિતી એકઠી કરવી, તેનું દરરોજ એનાલિસિસ કરી મનપા અને આરોગ્યના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી, જેમાં ૨૬% અનકંટ્રોલ ડાયાબિટીસ, ૧૮% ડાયાબિટીસ સાથે સ્ટીરોઈડ અને ઓક્સિજનના વપરાશવાળા લોકો જણાયા છે. .....
*આરોગ્ય તંત્રમાં PSM વિભાગની શું ભૂમિકા હોય છે?*
છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિનનો વ્યાપ વધ્યો છે. PSM એ જાહેર આરોગ્યના આંકડા, સામાજિક આરોગ્ય, મનોવિજ્ઞાન, ક્લિનિકલ અને બાયોલોજીકલ સાયન્સને જોડીને કોઈ એક વ્યક્તિ નહિ, પણ સમગ્ર માનવસમુદાય માટે રોગ નિવારાત્મક કામગીરી કરે છે. આરોગ્યની સમસ્યાને નિવારવી, રોગને આગળ વધતો અટકાવવાં અને સ્થિતિનું વિશ્લેષણ કરી એક્શન પ્લાન બનાવવા, કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય યોજનાઓ-અભિયાનોને લાગુ કરવા, જનજાગૃત્તિ કાર્યક્રમો ઘડવા, આરોગ્યકર્મીઓને તાલીમ આપવી અને કોઈ પણ રોગચાળો ફાટી નીકળે ત્યારે ટીમો બનાવી સ્થાનિકતંત્ર સાથે સર્વે, ફિલ્ડવર્ક, તાલીમ જેવી અનેકવિધ કામગીરી કરી રોગચાળાને ફેલાતો અટકાવવાંમાં મહત્વનું પ્રદાન હોય છે. આ વિભાગનું મુખ્ય કામ MBBS, MD વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડોક્ટર્સના શૈક્ષણિક તાલીમનું છે, જે આ વિભાગ પૂરી નિષ્ઠાથી બજાવતું આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં પ્લેગ, ફ્લડ, બર્ડફ્લૂ અને દર ચોમાસામાં થતાં લેપ્ટોસ્પાયરોસિસ જેવા વિવિધ એપિડેમીકની અટકાયતમાં સિવિલનો PSM વિભાગ બહોળો અનુભવ ધરાવે છે, તથા દર વર્ષે જોવા મળતાં જુદા-જુદા પ્રકારના રોગચાળાઓ જેમ કે, ઓરી, ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોના નિયંત્રણ અને અટકાયતમાં મહત્વનો ભાગ ભજવે છે. સિવિલના PSM વિભાગે અમેરિકાની ૩આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ, યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા-ટેમ્પા, સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી-મેમ્ફિસ, સાન ડિએગો સ્ટેટ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે. જેની સાથે જુદા-જુદા રિસર્ચ કરવામાં આવ્યા છે. આ વિભાગની ઉપરોક્ત વિવિધ કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે.
આમ, PSM વિભાગ કોરોના ક્રાઈસીસને કંટ્રોલ કરવામાં કેન્દ્રબિંદુ બન્યું છે. કોરોનાની આગેકૂચને અટકાવવાંમાં 'સાયલન્ટ વોરિયર' બની ઉભરેલા PSM વિભાગના કર્મયોગીઓએ કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા આગવી વ્યૂહરચના વિકસાવી અને કાબિલેતારીફ કામગીરી થકી ક્રાઈસીસ મેનેજમેન્ટમાં સહભાગી થયા છે.
-૦૦-
*મહિલાશક્તિને સલામ: કોવિડ ટેસ્ટીંગ માટે ૨૪x૭ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર*
-------
*સુરતની નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની કોરોનાની બન્ને લહેરમાં ૨.૬૫ લાખથી વધુ RTPCR ટેસ્ટીંગની અભુતપૂર્વ કામગીરી*
----------
*જીવના જોખમે કાર્યરત તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ દૈનિક ૨૫૦૦ થી ૩૦૦૦ સેમ્પલનું ટેસ્ટીંગ કરે છે*
----------
*કોરોનાના કપરાકાળ સમયે ઘડીયાળના કાંટાઓ જોયા વિના માઈક્રોબાયોલોજી મહિલાકર્મીઓએ ૧૨ થી ૧૫ કલાક કામ કર્યું*
-------
*RTPCRના લેબમાં ૯૦ ટકા મહિલા કર્મયોગીઓ કરી રહી છે કાર્ય*
-----------
*માઈક્રોબાયોલોજી વિભાગનું કોવિડ પરીક્ષણ માટે નમૂનેદાર માઈક્રોમેનેજમેન્ટ*..........
(ખાસ અહેવાલ:
મહેન્દ્ર વેકરિયા,પરેશ ટાપણીયા)
સુરતઃશુક્રવાર: 'નારી તારા નવલા રૂપ'.. નારાયણી સ્વરૂપા નારીને ભારતીય સંસ્કૃતિમાં અનેક સ્વરૂપે પોંખવામાં આવી છે. દૈત્યોનો સંહાર કરતી 'મા દુર્ગા'નો અવતાર હોય કે, બાળકને વાત્સલ્યપ્રેમથી સુસંસ્કારોનું સિંચન કરતી યશોદા કે દરેક ક્ષેત્રમાં આગળપડતું યોગદાન આપતી આધુનિક યુગની નારીઓ હોય, ઈતિહાસ અને વર્તમાનમાં નારીની ગૌરવભરી ગરિમા છે.
આજે વાત કરવી છે નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની આવી જ મહિલા કર્મયોગીઓની જેઓએ બાળકોની સારસંભાળ, ઘર-પરિવારની દેખરેખ સાથે RTPCR ટેસ્ટીંગની અભુતપૂર્વ કામગીરી કરી નારીશક્તિના દર્શન કરાવ્યાં છે. તેમણે કોરોનાની બન્ને લહેરમાં ૨.૬૫ લાખથી વધુ RTPCR ટેસ્ટ કર્યા છે, અને કોરોનાની સારવાર માટેના પ્રથમ પગલાંરૂપ ટેસ્ટીંગની કામગીરી માટે ઘડીયાળના કાંટાઓ જોયા વિના ૧૨ થી ૧૫ કલાક કામ કર્યું છે. કામનું ત્રણ શિફ્ટમાં વિભાજન હોવા છતાં કામના ભારણના લીધે ઓવરટાઈમ કરીને પણ ૨૪ કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કર્યા છે.
આ લેબનું જમાપાસું એ છે કે અહીં તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટર, સર્વન્ટ સહિતના ૯૦ના સ્ટાફગણમાં ૮૦ મહિલાઓ અને ૧૦ પુરૂષો ફરજ બજાવી રહ્યાં છે. જેમાં ૯૦ ટકા મહિલા કર્મયોગીઓ છે, જેઓ RT-PCR ટેસ્ટીંગ લેબમાં જીવના જોખમે કાર્યરત છે અને દૈનિક ૨૫૦૦ થી ૩૦૦૦ નમૂનાઓનું પરીક્ષણ કરે છે.
દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે. જેથી માઈક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઈન્ટેઈનની જવાબદારી પણ વધી ગઈ છે.
વિગતો આપતા માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.સુમેયા મુલ્લાં જણાવે છે કે, લેબ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં આજદિન સુધીમાં ૨.૬૫ લાખ જેટલા RTPCR ટેસ્ટ કર્યા છે. જેમાં માર્ચ-૨૦૨૦ થી લઈને ફેબ્રુઆરી-૨૧ સુધીમાં ૧.૩૯ લાખ તથા માર્ચ-૨૧ થી મે-૨૧ સુધીમાં ૧.૨૬ લાખ જેટલા ટેસ્ટ કર્યા છે. ૯૦ ટકા જેટલી બહુમતીમાં મહિલા સ્ટાફગણ જીવની પરવા કર્યા વિના ફરજ નિભાવે છે. ડિપાર્ટમેન્ટમાં ૩૮ ટેકનિકલ સ્ટાફ, આઠ સર્વન્ટ, ૧૧ ડોકટર, ચાર VRDL સ્ટાફ મળી કુલ ૯૦ સ્ટાફગણ ફરજ બજાવી રહ્યાં છે. જેમાંથી ૧૦ જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા, અને તમામ સ્વસ્થ થઈને ફરી પાછા ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે.
વધુમાં ડો. સુમેયા કહે છે કે, જ્યારે ૨૦૨૦ના વર્ષમાં માર્ચ મહિના દરમિયાન કોરોના કેસોમાં વધારો થતા તાબતતોડ ICMRની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં અમદાવાદ, જામનગર બાદ ત્રીજી લેબ શરૂ કરવાં સુરતની સિવિલને મંજૂરી આપવામાં આવી હતી, શરૂઆતના એ સમયે સુરત શહેરથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કોરોના દર્દીઓના રોજના ૮૦૦ થી લઈ ૧૨૦૦ ટેસ્ટ કરવામાં આવતા હતા. પછી તબક્કાવાર સ્મીમેર અને શહેર, જિલ્લાની અન્ય ખાનગી લેબોને મંજૂરી મળતા ટેસ્ટીંગ શરૂ થયા હતા. ત્યાં સુધી અમારા વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાતની કોવિડ ટેસ્ટીંગ જવાબદારી બખૂબી નિભાવી અને આજપર્યંત અમારૂં કામ ૨૪x ૭ રાઉન્ડ ધ ક્લોક અવિરત છે.'
કોરોનાની બીજી લહેરમાં પણ માત્ર ત્રણ મહિનાના ટુંકાગાળામાં ૧.૨૬ લાખ જેટલા ટેસ્ટ કર્યા છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે, તબીબોથી લઈને સર્વન્ટ સુધીના સ્ટાફનું ટીમવર્કથી ટેસ્ટીંગ કાર્ય ચાલી રહ્યું છે. સિવિલની આ લેબમાં ટેસ્ટીંગ માટે ૧૦ મશીનો, બે RNA એક્સટ્રેકશન મશીન ઉપલબ્ધ છે. જયારે જયારે જરૂર પડી ત્યારે રાજ્ય સરકારે તમામ આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
કોવિડ ટેસ્ટીંગ માટેના નોડલ ઓફિસર અને પ્રોફેસર ડો.નીતા ખંડેલવાલ જણાવે છે કે, સેમ્પલ આવ્યાં બાદ સૌ પ્રથમ વાઈરલ ટ્રાન્સપોર્ટ મિડીયમમાં આવેલ સેમ્પલમાં વાઈરસને લાઈસીસ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ વાઈરસમાં રહેલા RNAને RNA એક્સટ્રેકશન મશીનમાં એક્સટ્રેક્ટ (અલગ) કરવામાં આવે છે. ત્યારબાદ PCR ચેમ્બરમાં અલગ-અલગ કરેલા RNAને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રિએજન્ટમાં ઉમેરી કોવિડ-૧૯ વાઈરસ છે કે નહી તે જોવા માટે RT-PCR મશીનમાં બે કલાક મૂકવામાં આવે છે. RT-PCR મશીનમાં ગ્રાફ જોઈને આ વાઈરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે. આ એક ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા સુધી આશરે ૦૮ થી ૦૯ કલાક જેટલો સમય લાગે છે. રાજ્ય સરકાર અને કેન્દ્રના ICMRના પોર્ટલ પર દરરોજની નિશ્ચિત સમયાવધિમાં ડેટા એન્ટ્રી કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયા માટે બાયો સેફટી કેબિનેટ કલાસ ટુએ, RT-PCR અને RNA એક્સટ્રેકશન મશીન, માઈનસ ૨૦ ડિગ્રી રેફ્રિજરેટર (જેમાં ૦૬ માસથી પણ વધુ સમય સુધી સેમ્પલ સાચવી શકાય છે) સેન્ટ્રીફ્યુઝ, પીસીઆર સ્ટ્રીપ રોટર, મીની સ્પિન જેવા અતિ આધુનિક સાધનોની જરૂર પડે છે એમ તેઓ જણાવે છે.
ડો. નીતાએ ઉમેર્યું કે દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ અને નવસારીમાં નવી RT PCR લેબ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ અહીંના તબીબો દ્વારા તેમના સ્ટાફગણને ટેસ્ટીંગ માટે ICMR અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર પદ્ધતિસરની તાલીમ પણ આપવામાં આવી હતી. સિવિલમાં અમે ઈન્ફેકશન કંટ્રોલ ટીમનું પણ ગઠન કર્યું છે. જે વિવિધ વિભાગોમાં તબીબો, નર્સિંગ અને મેડિકલ સ્ટાફમાં સંક્રમણ અટકાવવાં માટે પણ સતત કાર્યરત છે.
વિભાગીય વડા ડો.સુમેયા મુલ્લાંના માર્ગદર્શન હેઠળ અહીં કાર્યરત ડો. ઉલ્લાસ ભાભોર અને ડો.ગીતા વાઘેલા કોવિડ ઇન્ફેકશન કંટ્રોલ, ડો.સંગીતા રેવડીવાલા અને ડો.યોગિતા મિસ્ત્રી મેડિકલ સ્ટાફને તાલીમ, ડો.દિપલ અને ડો.પૂર્વી ગાંધી કોવિડ કામગીરીની તાલીમ, બાયોમેડિકલ વેસ્ટના નિકાલ, રેસિડેન્ટ ડોક્ટર્સ અને સ્ટાફગણને સેલ્ફ કેર, ડો.તન્વી પાનવાલા અને ડો.વિભૂતિ સેમ્પલ ટેસ્ટીંગમાં ક્વોલિટી કંટ્રોલ, અન્ય જિલ્લાની લેબના સ્ટાફને તાલીમ અને ડો.અલ્પા પટેલ, ડો.ઉલ્લાસ અને ડો.દીપિકા મ્યુકર માયકોસિસના નમૂનાનું પરીક્ષણ, સિનીયર લેબ ટેક્નિશ્યન હેતલ નાયક પણ ટેસ્ટીંગ માટે મહત્વની જવાબદારી નિભાવે છે.
આમ, કોવિડ પરીક્ષણ માટે માઈક્રોબાયોલોજી વિભાગનું નમૂનેદાર માઈક્રોમેનેજમેન્ટ રહ્યું છે. જેમાં નારીશક્તિઓએ કાબેલિયત થકી 'પુરૂષ સમોવડી નારી'નું બિરૂદ સાર્થક કર્યું છે.
*RT PCR એટલે શું? તે કઈ રીતે થાય છે?*
RT PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેઈન રિએકશન ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેસ્ટમાં વાયરસના આરએનએની તપાસ કરવામાં આવે છે. જેમાં શરીરના મોટા ભાગે નાક અને ગળામાંથી મ્યૂકોઝાની અંદરના સ્તરથી સ્વાઈબ લેવામાં આવે છે. પછી સેમ્પલમાંથી RNA ને અલગ કરવામાં આવે છે. RNA ને માસ્ટર મિક્સ રિએજન્ટની અંદર મિક્સ કરવામાં આવે છે. હવે એ પ્લેટને RTPCR મશીનની અંદર મુકવામાં આવે છે. ૨ કલાક પછી RTPCR મશીન તેના નેગેટિવ કે પોઝિટિવ પરિણામ આપે છે. આ ટેસ્ટ થકી સંક્રમણ કેટલું ગંભીર છે અને આગળ જતાં ઘાતક બની શકે છે કે નહીં તે પણ જાણી શકાય છે. આ ટેસ્ટ દુનિયાના દરેક દેશોમાં ૧૦૦ ટકા વિશ્વસનીય ગણાય છે.
-૦૦૦-
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Contact the university
Telephone
Website
Address
Majuragate
Surat
395001
Surat, 395007
SVNIT is an autonomous engineering and technology oriented institute of higher education established by the Government of India in 1961.
431-432, Maruti Education Of Design, Arihant Shopping Centre, Udhna
Surat, 394210
We are in the Textile design education field from last more than 17 years. We are offering different
Vanita Vishram, Athwagate
Surat, 395001
First Women's University of Gujarat! Recognized through THE GUJARAT PRIVATE UNIVERSITIES (AMENDMEN
Surat, 395006
For more than 85 years our institution has been successfully training specialists for health care, scientific and pedagogical work in the sphere of professional medical and pharmac...
SY-404, Plot-7/A, 4th Floor, Vyas Compound, Bambavadi, Katargam
Surat, 395004
Auro University
Surat, 394510
AURO Litigiosus Committee (ALC) - A student driven committee of School of Law, AURO University, Surat formulated to promote and propagate mooting culture and to organise National M...
Shreyash Vidyalaya, B/h Asha Nagar-2, Hari Nagar-2, Udhna
Surat, 394210
Matrushri Khemiba PTC (D.El.Ed.D) College is one of the best Educational Institutions in Surat.